"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

વારસદાર (Varasdar 60)

Related

વારસદાર પ્રકરણ 60

" તારી ઈચ્છા હતી એટલે આજે તને સૂક્ષ્મ જગતમાં હું ખેંચી લાવ્યો છું. તારી મમ્મીની મુલાકાત પણ તને કરાવી દીધી. આ જન્મ પૂરતા જ સંબંધો હતા. આ બધી એક માયા છે. તારે આ માયાના બંધનોમાંથી પણ બહાર આવવાનું છે. હવે તારા દેહમાં તું પાછો જતો રહે. " સ્વામીજીનો અવાજ મંથનને સંભળાયો અને એક આંચકા સાથે મંથન અચાનક ખુરશીમાં જાગૃત થયો.

#આવકાર
વારસદાર

આંખો ખોલી તો બધું જ અદ્રશ્ય થઈ ગયેલું હતું. એ પોતાની ચેમ્બરમાં રિવોલ્વિગ ચેરમાં બેઠેલો હતો.

આ હા.... કેટલો અદભુત અનુભવ હતો એ !! હજુ પણ સૂક્ષ્મ જગતની એ અનુભૂતિ નજરની સામે જ તરવરતી હતી !!

હજુ પણ મંથન સૂક્ષ્મ જગતના નશામાં જ હતો. એને ઘણું બધું જોવાની ઈચ્છા હતી પરંતુ ગુરુજીએ એની માત્ર એક ઝલક જ બતાવી હતી. સ્વામી સર્વેશ્વરાનંદજી એ સૂક્ષ્મ જગતમાં રહેલા પોતાના ગુરુજીની પરવાનગી લઈને મંથનને આ અનુભવ કરાવ્યો હતો.

મંથને થોડીવાર પછી મોબાઈલ પોતાના હાથમાં લઇ ટાઈમ જોયો તો સાંજના સાડા સાત વાગ્યા હતા. અરે બાપ રે ! ઓફિસ નો ટાઈમ સાંજના છ વાગ્યા સુધી જ હતો.

એ પોતે ઉભો થયો અને ચેમ્બરની બહાર ગયો. આખી ઓફિસમાં એક માત્ર એની સેક્રેટરી સુષ્મા અને એનો ડ્રાઇવર સદાશિવ બેઠા હતા.

" અરે સાહેબ હું તો ચિંતામાં પડી ગઈ હતી. તમે ડિસ્ટર્બ ન કરવાનું કહ્યું હતું એટલે હું અંદર પણ આવી શકતી ન હતી. " સુષ્મા બોલી

" આઈ એમ સોરી સુષ્મા. તને ઘરે જવાનું આટલું બધું મોડું થયું. હું જરા ધ્યાનમાં બેઠો હતો. સમયનું કોઈ ભાન ના રહ્યું. " મંથન બોલ્યો.

" ઈટ્સ ઓલ રાઈટ. મને તો તમારી ચિંતા થતી હતી કે સરની તબિયત તો બરાબર છે ને !! " સુષ્મા બોલી.

" આઈ એમ ઓલ રાઈટ. આપણે હવે નીકળીએ છીએ." કહીને મંથને સદાશિવને અંદરથી પોતાની બેગ લાવવાનું કહ્યું અને પોતે બહાર નીકળી ગયો. બંને ગયા પછી સુષ્માએ ઓફિસ બંધ કરી.

ગાડીમાં બેસીને ઘરે પહોંચ્યો ત્યાં સુધી મંથન સૂક્ષ્મ જગતના નશામાં જ રહ્યો. આહા... કેટલું બધું અદભુત વાતાવરણ હતું !! કેટલા બધા આત્માઓ ત્યાં ફરી રહ્યા હતા. ના કોઈ પીડા, ના કોઈ દુઃખ. જ્યારે ઈચ્છે ત્યારે જે તે સ્વરૂપ ધારણ કરી શકે. પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે સરોવર સામે આવી જાય. વિચાર માત્રથી જ બધું બને. ત્યાં દિવસ કે રાત જેવું પણ કશું જ નહીં !

સુંદરનગર ક્યારે આવી ગયું ખબર પણ ના પડી. સદાશિવે એને જાગૃત કર્યો. સદાશિવ પોતે પણ સમજી શકતો ન હતો કે આ ધ્યાન વળી શું છે અને બૉસ આજે કેમ ખોવાયેલા રહે છે !

આજે એની માતા ગૌરીએ પણ એને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે આપણા સંબંધો પૂરા થઈ ગયા મને બહુ યાદ કરવાની જરૂર નથી. બધા સંબંધો પૃથ્વી પૂરતા જ હોય છે. અહીં આવ્યા પછી બધું બદલાઈ જાય છે અને નવા જન્મમાં નવા સંબંધો શરૂ થાય છે. ઈશ્વરે આ કેવી સૃષ્ટિ રચી છે !!

ઘરે આવીને એણે યંત્રવત્ જમી લીધું. જમીને એ આજે વહેલો સૂઈ ગયો. સવારે ચાર વાગે ઊઠીને ફરી પાછો ધ્યાનમાં બેસી ગયો. આજે બે કલાક સુધી એનું ધ્યાન ચાલ્યું. આજે એને કોઈ દર્શન થયાં નહીં પરંતુ સૂક્ષ્મ જગતની અસરોમાંથી એ સંપૂર્ણ બહાર આવી ગયો.

ગુરુજીએ વારંવાર ધ્યાનમાં મને લોકોના કલ્યાણ માટે પૈસાનો સદુપયોગ કરવાનું કહ્યું છે એટલે મારે હવે આ માટે ઝાલા અંકલની સલાહ લઈને કંઈક વિચારવું પડશે.

એણે ૧૧ વાગ્યે ઓફિસ પહોંચીને ઝાલા અંકલને ફોન કર્યો.

" પપ્પા આજે તમને જ્યારે પણ સમય હોય ત્યારે એકાદ કલાક માટે મારી ઓફિસે આવી જજો ને ! મારે થોડી ચર્ચા કરવી છે. " મંથન બોલ્યો.

" ઠીક છે. હું સાંજના પાંચેક વાગે આવી જઈશ. " ઝાલા અંકલ બોલ્યા.

મંથને એ દરમિયાન એકાઉન્ટન્ટને બોલાવીને જુદા જુદા એકાઉન્ટમાં પોતાનું બેંક બેલેન્સ, અત્યાર સુધી થયેલો ધંધામાં પ્રોફિટ, અંધેરીની સ્કીમ પૂરી કરવા માટે જોઈતી રકમ વગેરે તમામ આંકડા પોતાની ડાયરીમાં નોંધી લીધા. પ્રોફિટની રકમ ઘણી બધી મોટી હતી અને બેંક બેલેન્સ પણ બહુ ઊંચું હતું.

સાંજે ૫ વાગે ઝાલા સાહેબ સમયસર આવી ગયા.

" બોલો કુમાર... કોઈ તકલીફ કે મૂંઝવણ હોય તો મને કહી શકો છો. " ઝાલા બોલ્યા.

" એવી કોઈ જ તકલીફ નથી પપ્પા. ગુરુજીએ અવારનવાર મને ધ્યાનમાં મારી સંપત્તિ લોકોના કલ્યાણ માટે વાપરવાની સલાહ આપી છે. મારા ધંધાને વાઈન્ડઅપ કરી હવે મારે એવું કાર્ય કરવું છે કે જેથી આ પૈસાનો સદુપયોગ થઇ શકે. મારા માટે, અદિતિ માટે કે અભિષેક માટે તથા એના ભાવિ પ્રોજેક્ટ માટે ચોક્કસ રકમ સુરક્ષિત રાખીને હું લોક કલ્યાણના માર્ગે પૈસા વાપરવા માગું છું. આપણે કઈ રીતે આગળ વધી શકીએ ? " મંથન બોલ્યો.

"તમારી વાત સાચી છે કુમાર. પરંતુ તમારી આ ઉંમર નિવૃત્ત થઈ જવાની નથી. ગુરુજીની સલાહ પ્રમાણે ચોક્કસ તમે લોકોપયોગી કાર્યો કરી શકો છો પરંતુ ધંધાને વાઈન્ડઅપ કરીને કરવું મને તો યોગ્ય લાગતું નથી. છેલ્લા કેટલાય સમયથી તમે નવો કોઈ પ્લોટ જોતા નથી. નવી કોઈ સ્કીમ ઉપર વિચાર કરતા નથી. એક બે વાર દલીચંદ ગડાનો પણ મારી ઉપર ફોન હતો." ઝાલા અંકલ થોડા નારાજગીના સ્વરમાં બોલ્યા.

" પપ્પા તમારી વાત સાચી છે. અતિ સંપત્તિ ઊંઘ હરામ કરે છે અને ચિંતાનું કારણ બને છે. તમારા આશીર્વાદથી ઘણું બધું કમાઈ લીધું છે. આપણે દુનિયાના ધનાઢ્યોની હરીફાઈમાં નથી. ૧૦૦૦ કરોડથી પણ વધારે રકમ મારી પાસે છે તો એ રકમ નાની નથી. તૃષ્ણાઓનો કોઈ અંત જ નથી પપ્પા."

"તમારી ઈચ્છા કુમાર. કારણ કે આ બાબતમાં હું તમને વધારે દબાણ કરી શકું એમ નથી. તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. છતાં ફરી એકવાર વિચાર કરી લેજો. હજુ તમારી ઉંમર યુવાન છે. બીજાં ૧૦ વર્ષ ખેંચી નાખો અને પછી આ બધું વિચારો તો સારું એવી મારી સલાહ છે. ધંધામાંથી સન્યાસ લેવાની મારી સલાહ નથી. મુંબઈના એક બિલ્ડર તરીકે તમે જબરદસ્ત નામ ઊભું કર્યું છે. " ઝાલા અંકલ બોલતા હતા.

" અને તમારે સારાં કાર્યો કરવા હોય તો ધંધાની સાથે સાથે એક એનજીઓની રચના આપણે કરી લઈશું. અને એને આપણે પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર પણ કરાવી દઈશું. એની હેઠળ તમે ઘણાં બધાં કાર્યો કરી શકશો. તમારી ને મારી ગવર્નીંગ બોડી બનાવી દઈશું. એમાં તમારે જે કરવું હોય તે કરો, મારી ના નથી. પરંતુ ધંધાને હમણાં ચાલુ રાખો એવી મારી સલાહ છે. " ઝાલા બોલ્યા.

એ પછી બંને વચ્ચે પંદરેક મિનિટ ચર્ચા થઈ અને ઝાલા અંકલે વિદાય લીધી.

ઝાલા અંકલ ગયા પછી મંથન થોડી મૂંઝવણમાં પડી ગયો. અંકલની વાત પણ ખોટી ન હતી. ૩૩ વર્ષની ઉંમરે સાવ નિવૃત્તિ લઈ લેવી એ પણ બરાબર નથી. માની લઈએ કે ધંધો વાઈન્ડ અપ કરી દઉં તો પછી મારે કરવાનું શું ? ઘરે બેસી રહેવાનો પણ કોઈ મતલબ નથી અને કામ વગર ઓફિસમાં બેસવાનો પણ કોઈ હેતુ નથી હોતો !!

તો પછી ગુરુજીએ કેમ એમ કહ્યું હશે કે તારે હવે કન્સ્ટ્રક્શનની ચાલુ કંપનીના ધંધાનો કોઈ વિસ્તાર કરવાની જરૂર નથી ! કોઈક તો કારણ હશે જ. મારે ગુરુજીને જ પૂછવું પડશે. આવતીકાલે સવારે ધ્યાનમાં ગુરુજીને પૂછી લઈશ.

રાજન દેસાઈ ધ્યાનમાં ઘણો ઊંડો ગયેલો છે અને એને અનુભવ પણ વધારે છે એટલે મારે આ બાબતે ચર્ચા એની સાથે પણ કરવી જોઈએ. સાંજના છ વાગ્યા છે. રાજન કદાચ ફ્રી હશે.

એણે રાજન દેસાઈ ને ફોન કર્યો.

" કઈ બાજુ છે અત્યારે ? " મંથને પૂછ્યું.

" એક કામથી અંધેરી આવ્યો છું. કંઈ કામ હતું ? " રાજન બોલ્યો.

" સમય હોય તો થોડીવાર મારી ઓફિસે આવી જા ને ? થોડો સત્સંગ કરવાની ઈચ્છા છે. " મંથન બોલ્યો.

" ઠીક છે અડધો પોણો કલાક જેવું થશે. " રાજન બોલ્યો અને ફોન કટ કર્યો.

મંથને પોતાના સ્ટાફને રજા આપી દીધી. ઓફિસની એક ચાવી સેક્રેટરી સુષ્મા પાસે અને બીજી ચાવી સદાશિવ પાસે પણ હતી.

સાંજના સાડા છ વાગે રાજન દેસાઈ આવી ગયો.

" શું વાત છે આજે સત્સંગ કરવાની ઈચ્છા થઈ ગઈ ! " રાજન આવીને તરત બોલ્યો.

" પહેલાં તું એ કહે કે આઈસ્ક્રીમ ની ઈચ્છા છે કે પછી ચા બનાવવાનું કહું ?" મંથને પૂછ્યું.

" અત્યારે કંઈ જ લેવાની જરૂર નથી. હવે બોલ તું શું કહેવા માંગે છે ? " રાજન બોલ્યો.

" તારી એક સલાહની જરૂર હતી રાજન. એક બે વાર ધ્યાનમાં મને ગુરુજીએ ધંધાનો વિસ્તાર ન કરવાની સલાહ આપી છે. અને મારી સંપત્તિ લોક કલ્યાણ માટે વાપરવાની પણ સલાહ આપી છે. મારી મૂંઝવણ એ છે કે આ ઉંમરે જો હું ધંધો સંકેલી લઉં તો પછી આખી લાઈફ કેવી રીતે પસાર થાય ? " મંથન બોલ્યો.

" સૌથી પહેલી વાત તો એ છે કે સિદ્ધ મહાત્માઓની કેટલીક વાતો સાંકેતિક હોય છે. એમના શબ્દો નહીં પકડવાના પરંતુ એ સલાહ પાછળ એમનું કોઈ ભાવિ દર્શન હોય છે. તારી આ ઉંમરે ધંધો વાઈન્ડઅપ કરવાની ગુરુજી ક્યારે પણ સલાહ ના આપે. તું બરાબર યાદ કર એમણે એકઝેક્ટ શું કહ્યું હતું ?

" એમણે મને કહ્યું હતું કે તારે ચાલુ કંપનીના ધંધાનો વિસ્તાર કરવાની કોઈ જરૂર નથી. તારા નસીબમાં ઘણી સંપત્તિ લખેલી છે. તું હવે લોક કલ્યાણના કામોમાં સંપત્તિનો સદુપયોગ કર. " મંથન બોલ્યો.

" હમ્...તું ચિંતા ના કર. હું સવારે ધ્યાન કરીશ. તારા ગુરુજી સાથે કાલે સવારે હું સંવાદ કરીશ. ધ્યાનનો અનુભવ મારો વધારે છે એટલે ગુરુજીની વાતને હું વધારે ક્લીઅર સમજી શકીશ. તારી હજી શરૂઆત છે એટલે ઘણીવાર એમની વાણી તું સ્પષ્ટ ના સમજી શકે એવું પણ બને. કારણકે ધ્યાન અવસ્થામાં તૂટક તૂટક એમનો અવાજ આપણને સંભળાતો હોય છે. આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક એમની વાણીનાં આંદોલનો પકડવાનાં હોય છે. એ ખૂબ જ દૂરથી આપણી સાથે વાત કરતા હોય છે." રાજન બોલ્યો.

" ઠીક છે. તું એકવાર બરાબર સમજી લે કે ગુરુજી ખરેખર શું કહેવા માંગે છે." મંથન બોલ્યો.

" ડોન્ટ વરી. અભિષેક કેમ છે ? એક વાર એને રમાડવા આવવું છે. શીતલ પણ કહેતી હતી. " રાજન બોલ્યો.

" અભિષેક અને એની મમ્મી બંને મજામાં છે. " મંથન હસીને બોલ્યો.

એ પછી બંને મિત્રો સાથે જ બહાર નીકળ્યા. બંનેની ગાડી હતી એટલે ઓફિસથી જ બંને છૂટા પડી ગયા.

બીજા દિવસે સવારે ૧૧ વાગે જ રાજન મંથનની ઓફિસમાં આવી ગયો.

રાજનને જોઈને મંથન ખુશ થઈ ગયો.

" વેલકમ... ગુરુજીએ તને શું કહ્યું ? મને બધી વાત શાંતિથી કર. તારી વાત સાંભળવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું." મંથને અધીરાઈથી પૂછ્યું.

" ઊંડા ધ્યાનમાં મેં ગુરુજીને વારંવાર આમંત્રણ આપ્યું એ પછી જ એમનો મારી સાથે સંવાદ શરૂ થયો. મેં એમને તારી મૂંઝવણ કહી અને એમને એ પણ પૂછ્યું કે તમે મંથનને આ ઉંમરે એનો બિઝનેસ વાઈન્ડ અપ કરવાની સૂચના આપી છે ? " રાજન બોલતો હતો.

" પહેલાં તો ગુરુજી ખૂબ જ હસ્યા. એમણે તારી મૂંઝવણ પણ જાણી લીધી છે. તેં ગઈકાલે જે મને બોલાવ્યો એ પણ એમની પ્રેરણાથી જ બોલાવેલો. તું સતત ગુરુજીના રડારમાં છે." રાજન બોલ્યો.

" ગુરુજીની માયાને સમજવી બહુ જ અઘરી છે. મને લાગે છે કે હું ગુરુજીને હજુ પણ પૂરેપૂરા ઓળખી શક્યો નથી. મારી મૂંઝવણ મારા વિચારો બધું જ ગુરુજી જાણી લે છે. હવે આગળ બોલ. બિઝનેસ સંકેલવા માટે એમણે શું કહ્યું ? " મંથને પૂછ્યું.

" એમણે કહ્યું કે મંથને મને બરાબર ધ્યાનથી સાંભળ્યો નથી. મેં એને એમ કહેલું કે એના કિસ્મતમાં અપાર સંપત્તિ છે. દલીચંદની કંપનીમાં ધંધાનો વિસ્તાર કરવાની હવે જરૂર નથી. એ પછી તારા ભાવિ વિશે એમણે મને બીજી પણ એક વાત કહી છે પણ તને કહેવાની ના પાડી છે." રાજન બોલ્યો.

" સ્વામીજીના શબ્દો બહુ જ દૂરથી આવતા હોય છે એટલે ઘણીવાર ખૂબ જ ધ્યાન દઈને સાંભળવું પડે છે. તારી હજુ શરૂઆત છે એટલે અવાજનાં આંદોલનો બરાબર ન પકડી શકે એવું બની શકે છે. એ તને સ્પષ્ટ ના કહી શકે પરંતુ એમનો એક જ સંકેત છે કે દલીચંદ સાથેની ભાગીદારી તું તત્કાલ છોડી દે. " રાજન બોલ્યો.

" થેન્ક્યુ રાજન. તેં મારી ઘણી મૂંઝવણ ઓછી કરી દીધી. " મંથન આભારની લાગણીથી બોલ્યો.

એ પછી રાજને વિદાય લીધી. મંથને ગુરુજીની વાત ઉપર ફોકસ કર્યું અને વહેલી તકે દલીચંદ ગડાની કંપનીમાંથી છૂટા થવાનો નિર્ણય લઇ લીધો.

" ગડા સાહેબ આવતીકાલે આપની મુલાકાત લેવાની ઈચ્છા છે. કયો સમય આપને અનુકૂળ આવશે ? " મંથને દલીચંદ ગડાને મોબાઈલ ઉપર એમને મળવાનો સમય માગ્યો.

" અરે મંથન ભાઈ તમે તો મારા પાર્ટનર છો. તમારે મારી પરમિશન લેવાની થોડી હોય ? તમારી જ ઓફિસ છે તમે ગમે ત્યારે આવી શકો. " ગડા શેઠ હસીને બોલ્યા.

" પ્રોટોકોલ તો સાચવવા જ પડે શેઠ. અને હું આટલે દૂર આવું અને તમે ક્યાંક બહાર ગયા હો ! " મંથન બોલ્યો.

" હા એ પોઇન્ટ તમારો સાચો છે. કંઈ નહીં. કાલે બપોરે ૧૨:૩૦ વાગે આવી જાવ. આપણે સાથે જ જમીએ. " ગડા બોલ્યા.

" એક કામ કરીએ શેઠ. હું સાંજે ૪ વાગે આવીશ. બપોરે તો એક મિટિંગમાં બીઝી છું " જાણી જોઈને મંથને સાંજનો ટાઈમ લીધો. કારણ કે કંપનીમાંથી છૂટા થવાની વાત કરવા માટે એ જતો હતો અને જમતાં જમતાં આવી વાત ના કરાય. શેઠનો મૂડ ખરાબ થઈ જાય.

મંથન બીજા દિવસે સાંજે ચાર વાગે ગડા શેઠની ઓફિસે પહોંચી ગયો.
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ "માયાવન" આવકાર પર અપલોડ થઈ ગયો છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ અને માણવા લાયક છે.!!