શીર્ષક: સ્નેહનું ઝરણું
લેખક: રતીલાલ વાયડા "મૃગેશ"શ્રીમતી નરગીશબેન જહાંગીર સાહેબ વાંકડિયા, મીઠાપુર હાઇસ્કૂલ (તાતા કેમિકલ્સ, ગામ મીઠાપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા, ગુજરાત રાજ્ય) ના પ્રિન્સિપાલ હતાં. તેઓ ૪૦ વર્ષ સુધી આ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રહ્યાં.
સ્નેહનું ઝરણું
તેમનું વહાવેલું આ સ્નેહનું ઝરણું હજારો વિદ્યાર્થીઓ માટે આજે પણ એક મુખ્ય સંભારણું બની રહ્યું છે! શિક્ષણ, શિસ્ત, વ્યવસ્થિતતા અને સ્વચ્છતાના તેઓ ખૂબ આગ્રહી હતાં. શાળામાં તેઓ આ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવતાં.
તેમના સમય દરમિયાન મીઠાપુર હાઇસ્કૂલનું શિક્ષણ એકદમ ઉત્તમ કક્ષાનું હતું. બોર્ડની પરીક્ષામાં મોટેભાગે વિદ્યાર્થીઓ એકથી દસ સુધીના ક્રમાંક લાવીને સ્કૂલને ગૌરવ અપાવતા.
એટલું જ નહીં, પરંતુ એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડનું ૧૦૦% પરિણામ અનેક વખત આવેલું છે, જેનું સંપૂર્ણ ગૌરવ શ્રીમતી નરગીશબેનને ફાળે જાય છે. શાળામાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું હતું, કારણ કે તેઓ ઉત્તમ શિક્ષકોની જ પસંદગી કરતાં હતાં.
આના પરિણામે શાળામાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણનો લાભ મળતો હતો. દર વર્ષે શાળામાં કલ્ચરલ ફેસ્ટિવલ, ૧૫મી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી અને અન્ય તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા.
રમતગમતના ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેતા હતા. શાળાની અંદર જુદા-જુદા ક્ષેત્રના વિદ્વાનોને આમંત્રિત કરી, તેમનું સંબોધન વિદ્યાર્થીઓને કરાવવામાં આવતું હતું.
શાળાના ગરીબ વિદ્યાર્થીઓ માટે તેમણે ખાસ વ્યવસ્થા કરી હતી. ફી માફી આપવી, શાળામાંથી પુસ્તકો, શૈક્ષણિક સાધનો અને યુનિફોર્મ વગેરેની સહાયતા પૂરી પાડવામાં આવતી, જેથી ગરીબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે.
તેઓ વારંવાર વાલી સંમેલનો બોલાવીને, શાળા અને વિદ્યાર્થીઓ વચ્ચે એક સેતુરૂપ કામ કરતા હતાં. પોતાના આ જ સ્વભાવને કારણે તેઓ વાલીઓમાં પણ ખૂબ લોકપ્રિય હતાં.
શાળામાં તેઓ માટીકામ, ચિત્રકામ જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. હાઈસ્કૂલમાં તેમણે એન.સી.સી. (N.C.C.) ની ચાર શાખાઓ ચાલુ કરાવી હતી.
આ એન.સી.સી.ના વિદ્યાર્થીઓ છેક દિલ્હી મુકામે ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની પરેડમાં અનેક વખત ભાગ લઈ ચૂક્યા છે, જે શાળા માટે મોટા ગૌરવની વાત કહી શકાય! દર વર્ષે એન.સી.સી.ના વાર્ષિક તાલીમ કેમ્પો યોજાતા, જેમાં પણ તેમનો ઘણો સાથ-સહકાર રહેતો.
૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના દિવસે શાળાના ગ્રાઉન્ડ પર એન.સી.સી.ની ચારેય વિંગની ભવ્ય પરેડ યોજવામાં આવતી. એ સમયે જાણે સાચું લશ્કર ગ્રાઉન્ડ પર ચાલતું હોય તેવો ભાસ થતો અને લોકોને ભારે આનંદ આવતો!
સાથે અનેક પ્રકારના ટેબ્લો (ઝાંખીઓ) પણ રહેતા, અને ગામના તમામ લોકો આ કાર્યક્રમનો હર્ષભેર લાભ લેતા. શિક્ષકોની તાલીમનો પ્રશ્ન હોય, ત્યારે તેઓને જુદા-જુદા પ્રકારની તાલીમ માટે પણ શાળા તરફથી મોકલવામાં આવતા. આ જ કારણે શિક્ષકો પોતાના વિષયમાં ખૂબ જ પારંગત રહેતા હતા.
આ શાળામાં પાંચથી ૧૨ ધોરણ સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના લગભગ ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરતા. આ તમામ વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ મળી રહે તેમાં તેઓ પૂરી મદદ કરતા.
આ સ્કૂલના સંચાલનમાં તાતા કેમિકલ્સ લિમિટેડ કંપનીનો ખૂબ મોટો આર્થિક ફાળો અને મદદ હતી. મેનેજમેન્ટ તરફથી હાઈસ્કૂલના શિક્ષકોને રહેવા માટે સારા મકાનો, તબીબી સહાય અને અન્ય અનેક પ્રકારની સહાયતા આપવામાં આવતી હતી.
તેમની આ ઉત્કૃષ્ટ શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં લઈને, ગુજરાત સરકાર દ્વારા તેમને "શ્રેષ્ઠ શિક્ષિકા" તરીકેનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો! તેઓએ શિક્ષણ ક્ષેત્રમાં પી.એચ.ડી. કરી અને ડૉક્ટરેટની પદવી પણ પ્રાપ્ત કરી હતી.
પોતાના શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન તેમણે અનેક વિદ્યાર્થીઓના જીવનને ઉન્નત બનાવ્યાં હતાં. આ શાળામાં ભણેલા ઘણા બધા વિદ્યાર્થીઓ આજે ખૂબ મોટા હોદ્દા પર બિરાજમાન છે.
તેઓ આજે પણ શ્રીમતી નરગીશબેન વાંકડિયાને અને તેમના એ 'સ્નેહના ઝરણા'ને ખૂબ આદરથી યાદ કરે છે!
---
બાંહેધરી: હું રતીલાલ વાયડા બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.
તારીખ: ૧૦/૬/૨૦૨૫, મંગળવાર (નવી મુંબઈ)
તારીખ: ૧૦/૬/૨૦૨૫, મંગળવાર (નવી મુંબઈ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
