આખાબોલી વહુ (Aakhaboli Vahu)

"આખાબોલી વહુ"
**********"*********** લેખક - શરદ મણિયાર
શ્રેયા, માંડલિયા પરિવારની નાની વહુ, લગ્ન કરીને આવ્યા ના છ મહિનામાં જ "આખાબોલી વહુ” ના નામે પરિવારમાં અળખામણી બની ગઈ. જોકે એની સ્પષ્ટ વાતો એના સાસુમા અંજનાબેન અને સસરા સુબોધભાઈ ને એટલા માટે પણ ખટકતી હતી કે એમની મોટી વહુ માધવી ક્યારેય એમને એમની કોઈ વાતનો સામો જવાબ આપતી ન હતી કે આપી શકતી ન હતી. 

આવકાર
આખાબોલી વહુ

માધવી ના આ ઘરમાં આવ્યા ના પાંચ પાંચ વર્ષમાં અંજનાબેને કોઈ કારણ કે વગર કારણે, જાણતા કે અજાણતા એને કંઈ પણ સાચું કે ખોટું કહ્યું હશે તો પણ એ ચૂપચાપ મૂંગે મોઢે સહન કરી લેતી હતી. માધવીભાભીની આ સાલસતા થકી શ્રેયા ને એમના પ્રત્યે ખૂબ માન તો હતું જ પણ સાસુમા ના વજૂદ વગરના માનસિક અત્યાચારનો વિરોધ કરવા એમને વારંવાર પ્રેરતી તો પણ માધવી એ ક્યારે એ હિંમત કેળવી જ નહીં. તેનાથી વિપરીત શ્રેયા ને ક્યારે પણ સાસુમાની કોઈ ટકોર વિના કારણે લાગતી તો એ વિના સંકોચે એમને જવાબ આપી દેતી. 

આ બાબત ઘણીવાર એમના વચ્ચે નાના મોટા ઘર્ષણનું કારણ બની જતું તેથી એ એમની નજરમાં કણાની જેમ ખટકતી અને આખા ઘરમાં અળખામણી બની ગઈ હતી. જોકે શ્રેયાએ ઘણીવાર એના પતિ અનિકેત ને સમજાવવાની કોશિશ કરી, પણ અનિકેત પોતાની મમ્મીને જુનવાણી ગણાવીને એમનો પક્ષ લેતો. એટલે શ્રેયા પણ આ વિશે વધુ કાંઈ કરી શકે એમ નહતી.

આજે જોકે શ્રેયાએ સવારના ઉઠતા વેંત એવું મન બનાવી લીધું હતું કે કંઈ પણ થાય એ એના સાસુમા સાથે કોઈપણ વાદ વિવાદ નહીં જ થવા દે ભલે પછી એને હંમેશની મુજબ અકારણ ટોકવામાં આવે. કારણ કે આજે એના લગ્નના પૂરા છ મહિના પછી એના મમ્મી પપ્પા આવવાના છે એટલે કમ સે કમ આજે એમની સામે કોઈ પણ તમાશો કરીને એમને વ્યથિત કરવા નહોતી ઈચ્છતી. એટલે એ વહેલી સવારથી જ પોતાના મમ્મી પપ્પાના ભાવતા વ્યંજનો બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ હતી અને એની જેઠાણી માધવી પણ એટલા જ ઉત્સાહથી એને મદદ કરવા જોડાઈ ગઈ હતી. ત્યાં

અચાનક સાસુમા રસોડામાં ધમકી પડ્યા અને બોલ્યા, " ઓહો, હો, હો, આજે કોના માનમાં આ છપ્પનભોગ બનાવાઈ રહ્યા છે?". સાસુમા નો આ ટોણો શ્રેયા ને સોંસરવો ઉતરી ગયો એટલે તરત એનો પ્રત્યુતર આપવા ગઈ તો માધવી ભાભી એને ઇશારાથી ચૂપ રહેવા કહ્યું અને એણે પોતે જવાબ આપ્યો, "અરે મમ્મી, આપણી તો કાલે જ વાત થઈ ગઈ હતી ને કે શ્રેયાના મમ્મી પપ્પા આજે એના લગ્ન પછી પહેલીવાર આપણા ઘરે આવી રહ્યા છે". માધવીની વાત સાંભળીને સાસુમાએ મોઢું વાંકું કર્યું અને એક તીરછી નજરે શ્રેયા તરફ જોતા મનોમન બોલ્યા, "આવવા દે એના માબાપને. આજે તો એની બધી ચરબી ન ઉતારી દઉં તો મારું નામ અંજના નહીં."

શ્રેયાના મમ્મી પપ્પાનું આગમન, સ્નેહમિલન અને પ્રીતિ ભોજન બાદ સૌ કોઈ વાતો એ વળગ્યા. અહીં તહીંની કૌટુંબિક ઔપચારિક વાતોના અંતે શ્રેયા ના પપ્પાએ ખૂબ જ સહજતાથી પોતાની જીજ્ઞાસા ને સંતુષ્ટ કરવા વેવાઈને પૂછ્યું, "તો કેમ લાગે છે અમારી દીકરીનું પરફોર્મન્સ? ઘરના કામકાજમાં તો એ નિપુણ તો છે જ પણ શું બાકી બીજી બધી વાતો એ તમારી અપેક્ષામાં ખરી ઉતરે છે કે નહીં? તમારા બંનેનું સરખું ધ્યાન રાખે છે કે નહીં?" 

પપ્પા ના આવા અકલ્પનીય સવાલો સાંભળીને શ્રેયાના પેટમાં ફાળ પડી. એને એક અણધાર્યા ઝંઝાવાત ના આગમનના એંધાણ થઈ આવ્યા. કારણકે એ જાણતી જ હતી કે છેલ્લા છ છ મહિનાઓ દરમ્યાન એવું ક્યારેક જ બન્યું હશે કે સાસુમા સાથે કોઈપણ જાતની નાની મોટી વાત ઉપર વિવાદ ન થયો હોય. એટલે હવે તો એનું આવી જ બનશે. 

અંજનાબેનને પણ જાણે "બગાસું ખાતા મોઢામાં પતાસું આવી ગયું" હોય એવા હર્ષોલ્લાસની લાગણી થઈ આવી, તેમ છતાંય પોતાના મનોભાવ પર કાબુ રાખીને ચહેરા પર કરડાઈ લાવીને બોલી ઉઠ્યાં, "માફ કરજો આશિષભાઈ, અમારી સેવા કરવાનું તો દૂર રહ્યું પણ અમારી વાતનો સામો જવાબ આપવાની એક પણ તક ચૂકતી નથી આ તમારી દીકરી. ઘરના કામકાજમાં એ ભલે નિપુણ હશે પણ સાસરામાં વાત, વર્તન અને વ્યવહારની સમજણ લગીરે માત્ર એનામાં નથી." "શું વાત કરો છો તમે અંજનાબેન?". આશિષભાઈ હતપ્રભ થઈને બોલ્યા.

 "ગુજરાતીમાં જ વાત કરું છું, તમારી દીકરીની જેમ હું અંગ્રેજી માધ્યમમાં નથી ભણી". સાસુમા ના આવા ક્રૂર કટાક્ષથી શ્રેયા એકદમ હચમચી ગઈ અને તરત કાંઈ બોલવા ગઈ એ પહેલા બાજુમાં બેઠેલી માધવીભાભીએ એની હથેળીને દબાવીને એને ચૂપ રહેવાનો સંકેત આપ્યો તો એ સમસમીને બેસી ગઈ. સાસુમાને તો જાણે હવે ખુલ્લુ મેદાન મળી ગયું હોય એમ છેલ્લા છ મહિનાની બધી ભડાસ કાઢી નાખી.‌ સાચી, ખોટી, જાણી, અજાણી બધી વાતોમાં મીઠું મરચું ભભરાવીને સાસુમાએ પોતાના મનને ટાઢક મળે એ રીતે પોતાની વાત રજૂ કરી.‌ 

આ સાંભળીને આખા ઘરમાં સોંપો પડી ગયો. કાપો તો લોહી ન નીકળે એવી પીડા અને ક્ષોભ અનુભવતા આશિષભાઈ એ પહેલા એક નજર શ્રેયા પર નાખી જે ખૂબ જ ગુસ્સામાં આ બધી વાત સાંભળી રહી હતી પણ તરત અંજનાબેન ને સંબોધીને બોલ્યા, "માફ કરજો વેવાણ, અમે શ્રેયાના આવા વર્તનથી તદ્દન અજાણ હતા." 

આશિષભાઈ વધુ આગળ બોલે એ પહેલાં જ શ્રેયા બોલી ઉઠી, "પણ પપ્પા", પણ આશિષભાઈએ ગુસ્સામાં એની વાત કાપી, "ના બેટા, હવે એક પણ શબ્દ તું નહીં બોલે. શું અમે તારા વિશે આ બધી વાતો સાંભળવા આજે આવવાના હતા? શું અમે તને બચપણથી જ નથી જાણતા કે તું કેવી આખાબોલી છે પણ અમારા લાડ પ્યારમાં તું આટલી ઉદ્ધત બની જશે એવી અમને કલ્પના ન હતી. તારા આવા આખાબોલા સ્વભાવને કારણે આજે અમારે નીચું જોવાનો વારો આવ્યો છે. પણ બસ હવે જે થઈ ગયું એ થઈ ગયું. આજ પછી તારા વિશે આવી કોઈ ફરિયાદ ન આવવી જોઈએ એની ખાતરી આપ અને આમની માફી માંગ એટલે હવે અમે અહીંથી થોડાક સન્માનપૂર્વક જઈ શકીએ." 

શ્રેયા ને હવે લાગ્યું કે જો આજે એ બોલવાની હિંમત નહીં કરે તો ચૂપ રહેવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. એ તરત જ માધવી ભાભીએ દબાવી રાખેલી એની હથેળીને એક ઝાટકે છોડાવીને ઊભી થઈ અને મક્કમ સ્વરે બોલી, "પપ્પા મને માફ કરજો પણ હું માફી નહીં માંગુ. કારણ કે તમે ફક્ત એક તરફી વાત સાંભળીને કેમ માની લીધું કે બધો વાંક મારો જ છે? મારી પણ વાત સાંભળ્યા વગર તમે આવો ન્યાય કરશો તો એ જ મોટો અન્યાય કહેવાશે. તમારા બધાની નજરમાં હું ભલે શત્ પ્રતિશત ગુનેગાર હોઈશ પણ જેમ અદાલતમાં પણ સાચા ગુનેગારને પોતાની વાત કહેવાનો અધિકાર હોય છે તેમ મને પણ મારી વાત કહેવાનો હક હોવો જ જોઈએ."

ઘણા લાંબા સમયથી ચૂપ બેઠેલા આશિષભાઈ ના પત્ની સુધાબેન પોતાની દીકરીની વ્હારે આવ્યા, "ઠીક છે બેટા તારે પણ આ વિશે જે સ્પષ્ટતા કરવી હોય એ તું કરી શકે છે". પોતાની મમ્મીના આ લાગણીસભર શબ્દો સાંભળીને શ્રેયાએ સંપૂર્ણ આત્મવિશ્વાસથી સાસુમા ના એક એક આક્ષેપોને ખૂબ જ વ્યવસ્થિત રીતે છણાવટ કરીને જે જવાબો આપ્યા એ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. 

શ્રેયા એ જ્યારે બોલવાનું શરૂ કર્યું અને એની વાત સ્પષ્ટપણે પૂરી કરી એ દરમિયાન સૌ કોઈએ, ખાસ કરીને આશિષ ભાઈએ જોયું કે એના સાસુ સસરા હજુ થોડી વાર પહેલા જે રીતે શ્રેયા ઉપર આક્ષેપો કરી રહ્યા હતા અને એ બધા આક્ષેપોનું શ્રેયા જે રીતે એ ખંડન કરી રહી હતી એ સાંભળતા તેઓ ખૂબ જ શરમજનક લાગણી અનુભવી રહ્યા હતા અને મુક પ્રેક્ષક બનીને શ્રેયાની વાત કાપવાની હિંમત પણ નહોતા કરી રહ્યા અને એકબીજાની સામે ગંભીર મુદ્રાએ ફક્ત જોયા જ કર્યું હતું.‌ જેથી તેમને હવે ચોક્કસ ખાતરી થઈ ગઈ હતી કે એ લોકોએ જાણીબુઝીને શ્રેયા ને માનસિક ત્રાસ આપવા બધી વાતો ઉપજાવી કાઢેલી હતી. 

એટલે હવે પોતાના અવાજમાં ગર્વની લાગણી સાથે શ્રેયા ને સંબોધીને બોલ્યાં, "બેટા, તારી બધી સ્પષ્ટતા સાંભળીને જે રીતે આ લોકો ચૂપ થઈ ગયા છે એ જ બતાવે છે કે તે કાંઈ પણ ખોટું કર્યું નથી પણ ખોટું તો તારી જ સાથે થયું છે. એટલે હવે એનો ન્યાય કરવાનો હક્ક પણ તને જ મળે છે. તુ જે નક્કી કરીશ એમાં અમે તારી સાથે જ છીએ." 

અને પછી એનાં સાસુ સસરા ને સંબોધીને બોલ્યા, "માફ કરજો વેવાણ, અમે શ્રેયાના મા બાપ તરીકે નહીં પણ એવી દરેક વહુના મા બાપ તરીકે તમારા જેવા સાસુ સસરાઓને પૂછવા માંગીએ છીએ કે કોઈ પારકી છોકરી પોતાનું સર્વસ્વ છોડીને જ્યારે તમારા દીકરાનો ઘર સંસાર આગળ વધારવા તમારા કુટુંબમાં જોડાય છે ત્યારે શા માટે તમે એને પણ પોતાની સગી દીકરી જેવું સન્માન નથી આપી શકતા? અને જો પૂરેપૂરું સન્માન ન આપી શકતા હોય તો શા માટે આવી રીતે એના ઉપર માનસિક ત્રાસ ગુજારો છો?"

પણ અંજનાબેન ની અકડ હજુ એમની એમ જ હતી, "અમારે આ બાબત વધુ દલીલો નથી કરવી. તમને અને તમારી દીકરીને જે યોગ્ય લાગે એ કરવાની તમને છૂટ છે". આ સાંભળીને આશિષભાઈ થોડા વધુ ઉગ્ર બન્યા અને શ્રેયા ને સંબોધીને બોલ્યા, "જો બેટા, અમને એમ લાગે છે કે તારી વાતોની આ લોકો પર કોઈ અસર પડી નથી અને કદાચ તેઓ એમનું તારા તરફનું વર્તન બદલશે જ નહીં. અને જો આમ જ ચાલવાનું હોય તો બેટા હવે તારે નિર્ણય લેવાનો છે કે તારે આ લોકોની માનસિક યાતના સહન કરવી છે કે એમાંથી મુક્ત થવું છે?".

"મુક્ત થઈને મારે ક્યાં જવું પપ્પા?". શ્રેયાએ પોતાની લાચારી રજૂ કરી. પણ એની મમ્મીએ દ્રઢતાપૂર્વક એનો હાથ પકડીને એને જવાબ આપ્યો, "અરે બેટા ક્યાં એટલે? અમે તારા માવતર આજે પણ એટલા જ મજબૂત છીએ, જો તારે પાછા આવવું હોય તો અમે તને સહહૃદયે સ્વીકારવા તૈયાર જ છીએ". "પણ મમ્મી, હું પાછી આવી જાવ તો સમાજમાં તમારી આબરૂ જાય એનું શું?" "બેટા એવી ખોખલી આબરૂના ભોગે અમે તારો ભોગ ન લેવા દઈએ." "ના પપ્પા," શ્રેયાએ એની દલીલ આગળ વધારી, "મારા પાછા આવી જવાથી સમાજમાં ફક્ત તમારી જ આબરૂ નહીં જાય પણ આ ઘરની આબરૂ પણ એટલી જ ખરાબ થશે જો હું અહીંથી પાછી જતી રહીશ તો ". 

આ સાંભળીને શ્રેયાના સાસુ સસરા એકદમ અચંબિત થઈને એકબીજાની સામે જોવા લાગ્યા. પણ આશિષભાઈ બોલ્યા, "જો એ લોકોને એમની આબરૂની ચિંતા હોત તારી સાથે આવો ગેર વર્તાવ તો ન જ કર્યો હોત ને? બેટા અમે તને લડાયક બનાવી છે પણ સ્વરક્ષણ માટે અને અન્યાય સામે લડવા, અન્યાય સહન કરવા માટે નહીં. તેમ છતાં આ તારી પોતાની લડાઈ છે એટલે તું જ નક્કી કર કે હવે તારે શું કરવું છે, જો પાછા આવવું હોય તો અમે અત્યારે જ તને પાછી લઈ જવા તૈયાર જ છીએ, કારણ કે હવે આ ઘરમાં તને એક પળ માટે માનસિક ત્રાસ આપવામાં આવશે તો એ હવે અમે નહીં જ સહન કરી શકીએ". 

"પપ્પા", શ્રેયા બોલી, "સંતાનોની કેટ કેટલીય ભૂલો મા-બાપ જતી કરતા હોય છે તો ક્યારેક સંતાનો પણ પોતાના માબાપની ભૂલો કેમ જતી ન કરી શકે? મારા સાસુ સસરા એ મારા પ્રત્યે જે વલણ અપનાવ્યું એ એમની ભૂલ સમજીને એમને વધુ એક તક આપવા માંગુ છું. મને પાછી અપનાવી લેવા માટે આપ તૈયાર જ છો એ તમારા પીઠબળ સાથે હું અહીં જ રહીશ અને વધુને વધુ કોશિશ કરીશ કે મારા આ મમ્મી-પપ્પાનો મારા માટેનો અભિગમ બદલાય".

એક ખૂબ જ આત્મસંતોષ અને સન્માનની લાગણી લઈને શ્રેયા ના મમ્મી પપ્પા જતા રહ્યા.

આ વાતને ત્રણ મહિના વીતી ચૂક્યા હતા અને ખૂબ જ આશ્ચર્ય રીતે શ્રેયાના ઘરમાં આ ત્રણ મહિના દરમ્યાન એની સાસુ સાથે ક્યારે કોઈપણ વાતનો વિવાદ નહોતો થયો એટલું જ નહીં પણ માધવીભાભી સાથે પણ ખૂબ જ સન્માનપૂર્વક વ્યવહાર કરવામાં આવતો હતો એ જોઈને માધવી સ્વગત બોલી, "આ પરિવર્તનનો બધો શ્રેય શ્રેયા ને, આખાબોલી વહુને જ જાય છે.

લેખક - શરદ મણિયાર (પુણે મહારાષ્ટ્ર) ૯૮૨૦૧૨૯૧૭૭ / ૮૮૩૦૩૪૧૩૮૩
____________________

"Conclusion:
આ પોસ્ટની મુલાકાત બદલ આભાર, નવીનતમ અપડેટ માટે #આવકારનું homepage ચેક કરશો, ...પ્રેરણાદાયી વાંચન, પ્રકૃતિને અનુરૂપ જીવન વગેરે લોકોપયોગી આર્ટિકલ અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺  ____"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you so much for your feedback 😊

વધુ નવું વધુ જૂનું