વલોપાત ..
નમસ્કાર,આજની આ લઘુવાર્તા 'વલોપાત' મેં સમાજમાં બનતા આવા કિસ્સાઓ પરથી પ્રેરણા લઈને લખી છે." જે તમને ચોક્કસ ગમશે!
"મારે નથી જમવું મા! તમે લોકો શાંતિથી જમો હવે આ ઘરમાં, જે ઘર બચાવવા તમે મારું હસતું-રમતું ઘર ઉજાડી નાખ્યું!" સ્મિતાએ અંદરથી જ રાડ પાડી.
વલોપાત - લઘુકથા
"અરે પણ હવે આઠ આઠ વર્ષ થઈ ગયાં એ વાતને. તું ક્યાં સુધી આમ રવિના જ વિચારોમાં બળ્યા કરીશ?" માએ બારણું ખખડાવતાં કહ્યું.
"મારો રવિ તો હવે બે બાળકોનો બાપ બની ગયો છે મા! એનું તો નવું ઘર વસી ગયું, પણ તમે લોકોએ મને ક્યાંયની ના રાખી!" સ્મિતાનું મગજ બહેર મારી ગયું હતું.
********
તેને બરાબર યાદ હતો એ દિવસ, જ્યારે એ લગ્ન કરીને સાસરે ગઈ હતી. સાસરામાં કેટલું સુખ હતું, પણ આ મા અને બહેનોને એ સુખ પચ્યું નહોતું.
"જો સ્મિતા, તારો વર તો લાખોમાં રમે છે અને તારા સસરાની આટલી બધી મિલકત છે. તું કંઈક તો તારા પિયરનો વિચાર કર!" ફોન પર એની મા રોજ મીઠું ઝેર રેડતી.
"મા, પણ રવિ અને મારા સાસુ-સસરા બહુ સારા છે. હું એમની પાસે આવી રીતે અલગ થવાની વાત કેવી રીતે કરું? મને ત્યાં કોઈ વાતની કમી નથી." સ્મિતા ભોળપણથી કહેતી.
"અરે ગાંડી, એ ડોસા-ડોસીનું શું નક્કી? કાલ સવારે કંઈક ઉલટું થાય તો એ બધી મિલકત પર તારો શું હક્ક રહેશે બોલ?" બહેને ફોન પર ચડામણી કરી.
"પણ બહેન, મારા સાસુ તો મને દીકરીની જેમ રાખે છે. સવારે ઉઠું એ પહેલાં તો મારું અને રવિનું ટિફિન બની ગયું હોય છે." સ્મિતાએ સાચું જ કહ્યું.
"એ બધો દેખાડો હોય છે સ્મિતા! તારા બાપે તો દાદાની બધી મિલકત જુગારમાં ઉડાડી દીધી, એટલે અમને ખબર છે દુનિયાદારીની. તું તારા વરને કહીને મિલકત તારા નામે કરાવી લે." માએ હુકમ કર્યો.
"જો એકવાર મિલકત તારા નામે થઈ જાય, તો પછી અમે પણ કોઈવાર તારા ઘરે આરામથી રહી શકીએ ને! ભાઈઓ પણ બિચારા હપ્તા ભરી ભરીને થાકી ગયા છે." બહેને પોતાનો અસલી ઈરાદો છતો કર્યો.
"અને જો એ લોકો ના પાડે તો ડરતી નહીં. અમે બધા તારી પાછળ બેઠા છીએ, તારો વાળ પણ વાંકો નહીં થવા દઈએ!!" માની આ વાતોની સ્મિતા પર ઊંડી અસર થઈ ગઈ.
પિયરવાળાઓની વાતોમાં આવીને સ્મિતાએ એ જ દિવસથી રવિ સાથે કકળાટ ચાલુ કર્યો.
"રવિ, મારે હવે આ સંયુક્ત કુટુંબમાં નથી રહેવું. તું કાલે જ તારા પપ્પાને કહીને મિલકતમાં આપણો ભાગ અલગ કરાવી લે." સ્મિતાએ જમતાં જમતાં બોમ્બ ફોડ્યો.
"અરે સ્મિતા, અચાનક તને શું થઈ ગયું? આ બધી મિલકત છેવટે તો આપણી જ છે ને! અત્યારે જીવતા મા-બાપથી અલગ થઈને શું ફાયદો?" રવિએ તેને સમજાવવાની કોશિશ કરી.
"મારે કોઈ લાંબી વાત નથી સાંભળવી. જો તું મને અલગ મકાન અને મિલકતમાં અડધો ભાગ નહીં અપાવે, તો હું કાલે જ મારા પિયર જતી રહીશ." આટલું કહી સ્મિતા સડસડાટ રૂમની બહાર નીકળી ગઈ.
બીજા દિવસે સવારે પણ સ્મિતાએ સાસુ-સસરા સાથે ના બોલવાના વેણ કહ્યા.
"વહુ બેટા, તને અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને જરૂર કહી શકે છે. પણ આમ ઘર તોડીને નોખાં થવાની વાત ના કર, સમાજ શું કહેશે?" સસરાએ બે હાથ જોડ્યા.
"તમારો સમાજ તમે સંભાળો! મારે તો મારો ભાગ જોઈએ છે." કહીને સ્મિતા એ જ દિવસે પોતાનો સામાન બાંધીને પિયર ચાલી ગઈ.
પિયરમાં આવ્યા પછી લગભગ પંદર દિવસ બાદ રવિ એક વાર એને મનાવવા આવ્યો.
"સ્મિતા, ચાલ હવે ઘરે પાછી આવી જા. જે થયું તે ભૂલી, આપણે નવી શરૂઆત કરીશું. મમ્મી-પપ્પા બહુ દુઃખી છે તારા વગર." રવિએ આજીજી કરી.
"ના રવિ, જ્યાં સુધી તારા બાપુજી મિલકત આપણા નામે નહીં કરે, ત્યાં સુધી હું તારી સાથે નહીં આવું. મારા પપ્પાએ પણ ચોખ્ખી ના પાડી છે." સ્મિતાએ અહંકારથી કહ્યું.
આ સાંભળીને સ્મિતાના પિતા આગળ આવ્યા. "જુઓ કુમાર, મારી દીકરી હવે તમારા ઘરમાં ત્યારે જ પગ મૂકશે, જ્યારે એના હાથમાં મિલકતના તમામ કાગળ હશે!"
રવિ નિરાશ થઈ દુઃખી હૃદયે પાછો જતો રહ્યો. રવિના ગયા પછી તરત જ પિતાએ એમના ઓળખીતા એક વકીલને ઘરે બોલાવ્યો.
"જુઓ વકીલ સાહેબ, આ લોકો પાસે બહુ પૈસો છે. તમે એમના પર દહેજનો અને ત્રાસ ગુજારવાનો એવો કેસ ઠોકી દો કે એ લોકો સીધા મિલકત આપી દે." પિતાએ સિગારેટ સળગાવતાં પોતાની વાત વકીલ આગળ મૂકી!
"અરે, તમે બિલકુલ ચિંતા ના કરો. આપણે એવો સજ્જડ કેસ કરીશું કે પોલીસના ડરથી એ લોકો સામે ચાલીને સમાધાન કરવા આવશે." વકીલે પણ પોતાની ફી ની લાલચમાં આગમાં ઘી હોમી દીધું.
"સ્મિતા, તારે કોર્ટમાં જઈને માત્ર એટલું જ બોલવાનું છે કે તારા સાસુ-સસરા તને ભૂખી રાખતા અને દહેજ માટે મારતા. બાકી બધું હું સંભાળી લઈશ." વકીલે સ્મિતાને પટ્ટી પઢાવી દીધી.
લાલચમાં અંધ થયેલી સ્મિતાએ પોતાના જ નિર્દોષ પરિવાર પર ખોટો કેસ કરી દીધો. પણ કોર્ટમાં જૂઠ લાંબુ ના ટક્યું.
"સ્મિતાબેન, તમારા સાસુ-સસરા પર લગાવેલા બધા જ આરોપો પાયાવિહોણા સાબિત થાય છે. વળી, જીવતા મા-બાપની સ્વપાર્જિત મિલકત પર દીકરા કે વહુનો કોઈ સીધો હક્ક બનતો નથી." જજે અંતિમ ચુકાદો આપ્યો.
આ ચુકાદો સાંભળીને સ્મિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ! એને ખબર પડી ગઈ કે એણે સોનાની લગડી જેવો પરિવાર કાયમ માટે ગુમાવી દીધો છે.
સાસરીયાવાળા નિર્દોષ છૂટી ગયા અને રવિએ સ્મિતા સાથે કાયમી છૂટાછેડા લઈ લીધા.
આજે આઠ વર્ષ પછી એ જ પિયરના રૂમમાં સ્મિતા રડી રહી હતી. "મા, તમે લોકોએ મારી પાસે ખોટો કેસ કરાવીને મારું ઘર ભાંગ્યું. હવે મને સમજાય છે કે તમારો ઈરાદો તો મારી મિલકત વેચાવીને એ પૈસાથી ઐયાશી કરવાનો હતો!"
"હવે જે થઈ ગયું તે થઈ ગયું સ્મિતા. હવે રડવાથી કંઈ વળવાનું નથી, છાની રહી જા." માએ નિર્દયતાથી મોઢું ફેરવી લેતાં કહ્યું.
"મારે નથી રહેવું છાની! કાશ! એ દિવસે રવિ લેવા આવ્યો ત્યારે હું એની સાથે ચાલી ગઈ હોત! તો આજે હું જ એના ઘરની રાણી હોત." સ્મિતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. !!
✨હરેકૃષ્ણ"…✍️
©કૉપિરાઇટ આરક્ષિત...."
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
